Header Ads

સુરેન્દ્રનગર:જિલ્લામાં 549 આંગણવાડી કેન્દ્રો'ભાડાના મકાનમાં'

જમીનની શોધ |સુરેન્દ્રનગરમાં આવેલી 1507 આંગવાડી કેન્દ્રોમાંથી 958 કેન્દ્રોને સરકારી મકાન

સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી 1507 આંગવાડી કેન્દ્રોમાંથી 549 કેન્દ્રો છેલ્લા કેટલાંય વર્ષોથી ભાડાના મકાનમાંથી કાર્યરત છે. બીજી તરફ નવિન મકાન નિર્માણ કરવા માટે જમીનનાં 20 જેટલા ઠરાવ મંગાવાયા હતાં. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી પણ શૂન્ય અવસ્થામાં જોવા મળી રહી છે.ઝાલાવાડમાં નાના ભૂલકાઓનાં સંસ્કારલક્ષી શિક્ષણ માટે 1507 આંગણાવાડી કેન્દ્રો કાર્યરત હોવાથી 1,23,857 બાળકોની નોંધ થઇ છે.   ત્યારે તેમાંથી 1,03,215 બાળકો આંગણવાડીનો લાભ રહ્યાં છે.

પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ જિલ્લાના 1507 કેન્દ્રોમાંથી  હાલમાં 549 આંગણવાડી કેન્દ્રો ભાડના મકાનોમાં ચાલુ છે. જેમાં કેટલાંક મકાનો વીજળી, પાણી કે પાકા ચણતર વિના જોખમી હાલત વચ્ચે નિયમિત અભ્યાસ કરતા બાળકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા દર માસે  શહેરી વિસ્તારમાં રૂ. 700 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 200 લેખે ભાડુ ચૂકવવામાં આવે છે.આમ દર વર્ષે આંગણવાડી ભાડાના મકાન માટે રૂ. 10,800 માલિકોને ચૂકવાય છે. જ્યારે આંગણવાડી કેન્દ્રોમાં સરકાર દ્વારા વર્કરને રૂ. 4,500 અને હેલ્પરોને તેના 50 ટકા જેટલુ વેતન આપવામાં આવે છે.


ત્યારે ભાડાના ભરોસે ચાલતા 549 આંગણવાડી કેન્દ્રોમાં સંસ્કારલક્ષી શિક્ષણ મેળવી હજારો બાળકો પોતાનું ભવિષ્ય જોઇ રહ્યાં છે. આ અંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સી.એન.પંચોલીએ જણાવ્યું હતું કે, ભાડાના મકાનોમાં ચાલતા કેન્દ્રો  અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે. અને ગ્રાંટ તેમજ લક્ષ્યાંક પ્રમાણે મકાનો બનાવવામાં આવશે.

દાતાઓની ઉદાસીનતા :  એકમાત્ર સાયલામાં આંગણવાડી કેન્દ્ર

વિકાસની હરણફાળ વચ્ચે પણ જવાબદાર તંત્ર પાસે જમીન ઉપલબ્ધ ન હોઇ સુવિધા ઉભી થઇ શકી નથી. દિનપ્રતિદિન શહેરી વિસ્તારોમાં જમીનના ભાવો આસમાને પહોંચી રહ્યાં છે. જિલ્લામાં સાયલામાં એકમાત્ર દાનમાં મળેલી આંગણવાડી કેન્દ્ર ચાલે છે. કોઇ શહેરી દાતા જમીનનો એક ટુકડો પણ આપવા તૈયાર નથી.

સૌથી વધુ વઢવાણમાં ભાડુતી મકાનોમાં ચાલતા આંગણવાડી કેન્દ્રો

સુરેન્દ્રનગર જિલ્લાનાં 12 ઘટકોમાં 1507 આંગણવાડી કેન્દ્ર ચાલુ છે. ત્યારે વઢવાણ ઘટક -1માં 138 કેન્દ્રો સામે 74 અને ઘટક-2માં 150 સામે 106 કેન્દ્રો ભાડાનાં મકાનમાં ચાલે છે. આમ વઢવાણ પંથકમાં નોંધાયેલા 23,706 બાળકો સામે 288 કેન્દ્રોમાંથી 180 ભાડાના મકાનની છત નીચે બાળકનો વિકાસ થઇ રહ્યો છે.

બોલો લો ..કમ્પાઉન્ડ અને હોલમાં પણ આંગણવાડી કેન્દ્રો

સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના મકાનોની બેઠક વ્યવસ્થામાં  એક આંગણવાડી કેન્દ્ર તો શાળાના કમ્પાઉન્ડમાં જ ચાલી રહ્યું છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર-તેડાગરનાં મકાનમાં 19, કોમ્યુનીટી હોલમાં 8 તેમજ પ્રાથમિક શાળામાં 29 અને અન્ય સ્થળે 13 આંગણવાડી કેન્દ્રો ચાલી રહ્યાં છે.

No comments